ધોરણ 8 ગુજરાતી કાવ્ય 1 'આ તો ઈશ તણો આવાસ' - ઇન્ટરેક્ટિવ પાઠ આયોજન

પાઠ આયોજન: આ તો ઈશ તણો આવાસ

ધોરણ ૮ : ગુજરાતી

પાઠ ૧: આ તો ઈશ તણો આવાસ (કવિતા)

પ્રસ્તુતિ: દિપક ચૌધરી | Exam Guru

🎯 અધ્યયન નિષ્પત્તિઓ (Learning Outcomes)

આ પાઠના અંતે વિદ્યાર્થીઓ...

G8-2.1.1 પદ્ય અને ગદ્ય સામગ્રીમાંથી વિગતો તારવી બતાવે છે.
G8-2.1.5 સાહિત્યસ્વરૂપો અને લેખનશૈલીને વાંચીને ભાવાત્મક પ્રતિભાવ આપે છે.
G8-3.1.1 અપરિચિત શબ્દો (વિશેષતઃ બોધાત્મક અને ભાવાત્મક)ના અર્થની ધારણા કરે છે. શોધખોળ કરે છે અને તારવે છે.
G8-1.5.6 ગદ્યખંડ અને સંવાદોનું વાચિકમ્ કરે છે (અહીં કાવ્યનું સસ્વર પઠન).
✍️ કવિ પરિચય અને કાવ્યનો કેન્દ્રીય ભાવ

કવિનું નામ: કરસનદાસ માણેક
ઉપનામ: 'વૈશંપાયન'
જન્મસ્થળ: કરાંચી
જાણીતાં પુસ્તકો: “ખાખનાં પોયણાં”, “મહોબતને માંડવે’, ‘પ્રેમધનુષ્ય'

કેન્દ્રીય વિચાર: આ કાવ્યમાં ઈશ્વરનો મહિમા ગાવામાં આવ્યો છે. ઈશ્વર જે આપે તે ખાવું અને ઈશ્વર જેમ રાખે તેમ રહેવું એમ કવિ કહે છે. આ વિશ્વ એ ઈશ્વરનો આવાસ છે અને આપણે સૌ અતિથિ છીએ એવી વાત અહીં સુંદર રીતે નિરૂપણ પામી છે.

📖 કાવ્ય પઠન, સમજૂતી અને મૂલ્યાંકન (માઇક્રો-ટીચિંગ)

(સ્માર્ટ બોર્ડ પર દરેક પંક્તિ ખોલવા માટે નીચેના બોક્સ પર ક્લિક કરો. પ્રશ્નનો જવાબ જોવા માટે 'જવાબ જુઓ' પર ક્લિક કરો)

પંક્તિઓ ૧: "આ તો ઈશ તણો આવાસ..."
આ તો ઈશ તણો આવાસ. તું આમંત્રિત અતિથિ એનો નહિ સ્વામી નહિ દાસ; આ તો ઈશ તણો આવાસ.
સમજૂતી: કવિ કહે છે કે આ સમગ્ર વિશ્વ એ ઈશ્વરનું (પ્રભુનું) ઘર છે. હે મનુષ્ય! તું આ પૃથ્વી પર ઈશ્વરનો આમંત્રિત (નોતરેલો) મહેમાન છે. તું આ દુનિયાનો માલિક પણ નથી અને કોઈનો ગુલામ પણ નથી. તારે અહીં એક મહેમાનની જેમ જ મર્યાદામાં રહીને જીવન જીવવાનું છે.

પ્રશ્નોત્તરી (સમજ ચકાસણી)

  • આ જગત કોનો આવાસ (ઘર) છે?
    આ જગત ઈશ્વરનો (પ્રભુનો) આવાસ છે.
  • કવિ મનુષ્યને ઈશ્વરના કેવા અતિથિ ગણે છે?
    કવિ મનુષ્યને ઈશ્વરના આમંત્રિત (નોતરેલા) અતિથિ ગણે છે.
  • આપણે આ દુનિયાના સ્વામી કેમ નથી?
    કારણ કે આ દુનિયા ઈશ્વરે બનાવી છે, આપણે માત્ર થોડા સમય માટે મહેમાન તરીકે અહીં આવ્યા છીએ.
  • 'આવાસ' અને 'અતિથિ' શબ્દનો સમાનાર્થી અર્થ જણાવો.
    આવાસ એટલે રહેઠાણ/ઘર અને અતિથિ એટલે મહેમાન.
  • આ પંક્તિમાં કવિ આપણને કેવો અહંકાર છોડવાનું કહે છે?
    આપણે આ દુનિયાના માલિક (સ્વામી) છીએ તેવો ખોટો અહંકાર છોડવાનું કહે છે.
પંક્તિઓ ૨: "એ પીરસે તે ખા તું રસથી..."
એ પીરસે તે ખા તું રસથી, એ આપે તે લે; એનાં જનને તારાં ગણીને, એ રાખે તેમ રહે. વેરતો પ્રતિપળ હેતનું હાસ; આ તો ઈશ તણો આવાસ.
સમજૂતી: ઈશ્વર તને જીવનમાં જે પણ સુખ-દુઃખ રૂપી ભોજન પીરસે, તેને તું આનંદથી સ્વીકાર કર. આ દુનિયાના તમામ માણસો ઈશ્વરના જ સંતાનો છે, તેથી તેમને પોતાના સમજીને પ્રેમ કર. પ્રભુ તને જે પરિસ્થિતિમાં રાખે તેમાં સંતોષથી રહે અને દરેક ક્ષણે (પ્રતિપળ) પ્રેમ અને સ્મિત (હાસ્ય) ફેલાવતો રહે.

પ્રશ્નોત્તરી (સમજ ચકાસણી)

  • ઈશ્વર જે પીરસે તે મનુષ્યે કેવી રીતે ખાવું જોઈએ?
    ઈશ્વર જે પીરસે તે મનુષ્યે રસથી (આનંદથી) ખાવું જોઈએ.
  • આપણે અન્ય લોકો (ઈશ્વરના જન) સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ?
    તેમને પોતાના (તારાં) ગણીને પ્રેમપૂર્વક વ્યવહાર કરવો જોઈએ.
  • કવિ કયું હાસ્ય વેરવાનું કહે છે?
    કવિ હેતનું (પ્રેમનું) હાસ્ય વેરવાનું કહે છે.
  • 'પ્રતિપળ' એટલે શું?
    પ્રતિપળ એટલે દરેક ક્ષણે કે પ્રત્યેક પળે.
  • 'એ રાખે તેમ રહે' - આ વાક્ય દ્વારા કવિ જીવનનો કયો ગુણ સમજાવે છે?
    A વાક્ય દ્વારા કવિ જીવનમાં સંતોષ અને ઈશ્વરની ઈચ્છામાં રાજી રહેવાનો ગુણ સમજાવે છે.
પંક્તિઓ ૩: "અખંડ ચાલે બ્રહ્મચિચોડો..."
અખંડ ચાલે બ્રહ્મચિચોડો કોઈ તાણે, કોઈ માણે; તું નવરો નવ રે'જે વહેજે, ધૂંસરી ગજા પ્રમાણે. કામમાં ના'વે કદીય કચાશ; આ તો ઈશ તણો આવાસ.
સમજૂતી: આ સંસાર રૂપી ઈશ્વરનો ચિચોડો (શેરડી પીલવાનું સંચો) અવિરત ચાલતો રહે છે. આ જીવનચક્રમાં કોઈ કષ્ટ સહન કરે છે તો કોઈ આનંદ માણે છે. કવિ ભારપૂર્વક જણાવે છે કે તું નવરો બેસી ન રહેતો, પણ તારી તાકાત (ગજા) પ્રમાણે જવાબદારી રૂપી ધૂંસરી ઉપાડજે. તારા કર્તવ્ય કે કામમાં ક્યારેય પણ કોઈ ખામી કે કચાશ ન આવવી જોઈએ.

પ્રશ્નોત્તરી (સમજ ચકાસણી)

  • 'બ્રહ્મચિચોડો' કેવી રીતે ચાલે છે?
    બ્રહ્મચિચોડો (સંસારચક્ર) અખંડ (સતત) ચાલે છે.
  • કવિ નવરા બેસી રહેવાને બદલે શું કરવાની સલાહ આપે છે?
    કવિ નવરા બેસી રહેવાને બદલે શક્તિ પ્રમાણે ધૂંસરી (જવાબદારી) ઉપાડીને કામ કરવાની સલાહ આપે છે.
  • આપણે કેટલી ધૂંસરી (જવાબદારી) ઉપાડવી જોઈએ?
    આપણે આપણા ગજા (શક્તિ કે ક્ષમતા) પ્રમાણે ધૂંસરી ઉપાડવી જોઈએ.
  • આપણા કામમાં શું ન આવવું જોઈએ?
    આપણા કામમાં ક્યારેય કોઈ કચાશ (ખામી કે આળસ) ન આવવી જોઈએ.
  • 'ગજા પ્રમાણે' એટલે શું?
    ગજા પ્રમાણે એટલે પોતાની શક્તિ કે તાકાત મુજબ.
પંક્તિઓ ૪: "તું અથરો નવ થાજે..."
તું અથરો નવ થાજે જાવા નવ રે’જે વળી ચોંટી; સૌ સાથે વહેંચીને ખાજે રામની દીધેલ રોટી. સુધાસમ સમજી સહિયારી છાશ; આ તો ઈશ તણો આવાસ.
સમજૂતી: આ દુનિયામાંથી વિદાય લેવા માટે (મૃત્યુ માટે) તું ઉતાવળો (અથરો) ન થતો, અને અહીં કાયમ માટે રહેવાની જીદ કરીને ચોંટી પણ ન રહેતો. અઘરા કે આકળા થયા વિના રામે (ઈશ્વરે) દીધેલી રોટી સૌની સાથે વહેંચીને ખાવા કવિ કહે છે. જે કંઈ સામાન્ય ભોજન (સહિયારી છાશ) મળે તેને અમૃત (સુધા) સમાન સમજીને સંતોષથી ગ્રહણ કરજે.

પ્રશ્નોત્તરી (સમજ ચકાસણી)

  • કવિ મનુષ્યને જવા માટે કેવા ન થવા જણાવે છે?
    કવિ મનુષ્યને આ દુનિયામાંથી જવા માટે અથરા (ઉતાવળા) ન થવા જણાવે છે.
  • આ પંક્તિમાં કવિ દુનિયામાં 'ચોંટી' ન રહેવા વિશે શું સમજાવવા માંગે છે?
    કવિ સમજાવે છે કે મૃત્યુ નિશ્ચિત છે, તેથી મોહ-માયામાં ફસાઈને અહીં કાયમ રહેવાની જીદ ન કરવી જોઈએ.
  • ઈશ્વરે (રામે) દીધેલી રોટી કેવી રીતે ખાવી જોઈએ?
    રામે દીધેલી રોટી સૌની સાથે હળીમળીને અને વહેંચીને ખાવી જોઈએ.
  • છાશને કોના સમાન ગણવામાં આવી છે?
    છાશને સુધા (અમૃત) સમાન ગણવામાં આવી છે.
  • 'સુધા' શબ્દનો અર્થ જણાવો અને આ પંક્તિમાં સહિયારાપણાની કઈ ભાવના પ્રગટ થઈ છે?
    સુધા એટલે અમૃત. જે કંઈ મળે તે બધાએ સંતોષથી અને વહેંચીને ખાવું જોઈએ તેવી સહિયારાપણાની ભાવના પ્રગટ થઈ છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ધોરણ 3 ગુજરાતી પરખ પ્રશ્નબેંક ક્વિઝ - સંપૂર્ણ 47 પ્રશ્નો | Exam Guru

ધોરણ 4 ગુજરાતી પરખ પ્રશ્નબેંક ક્વિઝ - સંપૂર્ણ 50 પ્રશ્નો | Exam Guru

ધોરણ 6 ગુજરાતી પરખ પ્રશ્નબેંક ક્વિઝ - સંપૂર્ણ 57 પ્રશ્નો | Exam Guru